ઘરવખરી અને રૂ.15,000 ની રોકડ બળીને ખાખ
ઊંઝા તાલુકાના ડાભી ગામે આજે એક દુર્ઘટના સામે આવી છે જ્યાં ઠાકોર કરસનજી પ્રતાપજીના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે બાળકો શાળાએ ભણવા ગયા હતા અને પરિવારના સભ્યો ખેતરે ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. અચાનક મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગામલોકોએ પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આજુબાજુના અન્ય મકાનોમાં આગ પ્રસરાતા અટકી હતી.
આગની આ ઘટનામાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે તેમજ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ડેરીના પ્રમુખ તખાજી દ્વારા ગઈકાલે જ વહેંચવામાં આવેલો દૂધ ડેરીનો રૂ. 15,000નો વધારો જે પેટીમાં રાખવામાં આવ્યો હતો, તે રોકડ રકમ પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ છે. બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, સદનસીબે બાળકો શાળાએ ગયા હતા અને પરિવારજનો ખેતરમાં કામ અર્થે ગયા હોવાથી ઘર ખાલી હતું, જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.





