ડિવિડન્ડની વહેંચણી અને હિસાબોને મળી મંજૂરી
ઊંઝાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ઊંઝાની ૫૨ મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા સ્થિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના વિશ્રાંતિ ગૃહ કમિટી હોલ ખાતે સાંજે ચાર કલાકે સભા યોજાઈ હતી. જેમાં બેંકના ચેરમેન પિયુષભાઈ પટેલ, વાઇસ ચેરમેન પ્રિયંકાબેન પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઇ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બેંકની પ્રગતિ અને આગામી આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ વાર્ષિક સાધારણ સભામાં ગત નાણાકીય વર્ષ ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ પૂરા થતા વર્ષનો કાર્યવાહક મંડળે રજૂ કરેલો વાર્ષિક અહેવાલ સરવૈયું તેમજ નફા-તોટાનો હિસાબ અને ઓડિટર્સનો રિપોર્ટ સભાસદોની સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. બેંકની ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરીને સભાસદોએ બિરદાવી હતી. બેંકના વિકાસમાં મહત્વનો ફાળો આપનારા સભાસદો માટે સભામાં ખુશીના સમાચાર શેર કરવામાં આવ્યા હતા. બેંક દ્વારા શેરની ભરાયેલ રકમ ઉપર ડિવિડન્ડની વહેંચણી જાહેર કરવા બાબત અને નફાની યોગ્ય ફાળવણી તેમજ વહેંચણીને સભામાં હાજર તમામ સભાસદોએ મંજૂરી આપી હતી. સભા દરમિયાન આગામી વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે બેંકની કર્જની મર્યાદા નક્કી કરવા, સ્ટેચ્યુટરી ઓડિટર્સ તેમજ આંતરિક અન્વેષક ઇન્ટરનલ ઓડિટરની નિમણૂક કરવા જેવા મહત્વના એજન્ડાઓ પર ચર્ચા કરી નિર્ણય લેવાયા હતા.
આ ઉપરાંત આગામી વર્ષનું બજેટ નક્કી કરવા તેમજ બેંકના પેટા કાયદાઓમાં નવા ઉમેરા અને જરૂરી સુધારા કરવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સમગ્ર સાધારણ સભાનું સંચાલન અને વ્યવસ્થા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હુકમથી ઇન્ચાર્જ મેનેજર ઉન્નતિબેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. ચેરમેન પિયુષભાઈ પટેલે બેંકની ઉત્તરોત્તર પ્રગતિ માટે ગ્રાહકો અને સભાસદોના અતૂટ વિશ્વાસને જવાબદાર ગણાવ્યો હતો અને સભામાં સમયસર હાજર રહીને સહકાર આપવા બદલ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.





