ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક આનંદના સમાચાર છે. ભક્તોની લાંબા સમયની માંગણી આખરે સંતોષાઈ છે અને તેમની આસ્થાને માન આપીને બહુચરાજી મંદિરની બરાબર સામે આવેલા સર્કલ પર રૂપિયા 35 લાખના ખર્ચે ત્રણ કૂકડાની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. કુકડાની બનાવટમાં સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસનો અદભુત સમન્વય જાળવી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મંદિર પરિસરની બહાર આવતા મુખ્ય સર્કલને નવો અને ભવ્ય લુક આપવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ મૂર્તિઓ કોઈ સામાન્ય ધાતુમાંથી નહીં, પરંતુ સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસ (પિત્તળ) જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુઓમાંથી ઝીણવટભરી કારીગરી સાથે તૈયાર કરવામાં આવી છે. સ્ટીલ અને બ્રાસના ઉપયોગથી આ પ્રતિમાઓ અત્યંત આકર્ષક હોવાની સાથે સાથે તમામ ઋતુઓમાં લાંબા સમય સુધી ટકાઉ પણ રહેશે. આવનારા સમયમાં સૂર્યપ્રકાશમાં આ મૂર્તિઓની ચમક દર્શનાર્થીઓનું મન મોહી લેશે. બહુચર માતાજીના વાહન કુકડાનું ધાર્મિક મહત્વ જોવા જઈએ તો હિન્દુ ધર્મ અને પુરાણોમાં બહુચર માતાજીનું વાહન 'કૂકડો' હોવાનું વર્ણવવામાં આવ્યું છે. આથી શક્તિપીઠ બહુચરાજીમાં કૂકડાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. લાંબા સમયથી માઈભક્તોની એવી માંગણી હતી કે મંદિરની આસપાસ માતાજીના વાહન સમાન કૂકડાની કોઈ વિશાળ અને ભવ્ય પ્રતિકૃતિ હોવી જોઈએ. હવે જ્યારે સર્કલ પર આ 3 કૂકડાની મૂર્તિઓ વિરાજમાન થઈ છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમની આસ્થા વધુ દ્રઢ બની છે.
બહુચરાજી શહેરના બ્યુટિફિકેશનમાં વધારો થયો ગોય તેમ આ નવી પહેલથી ભક્તોની આસ્થા અને લાગણીઓને સન્માન મળ્યું છે, પરંતુ બહુચરાજી શહેરની સુંદરતામાં પણ વધારો થયો છે. 35 લાખના ખર્ચે તૈયાર થયેલું આ નવું સર્કલ હવે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું છે. દર્શન કરવા આવતા યાત્રાળુઓ હવે આ ભવ્ય પ્રતિમાઓ પાસે ઊભા રહીને સેલ્ફી અને તસવીરો ખેંચાવી પોતાની યાત્રાને વધુ યાદગાર બનાવી રહ્યા છે.





