અકસ્માતમાં ત્રણના મોત: પાંચ ઇજાગ્રસ્ત
પાલનપુર તાલુકાના ખરોડિયા ચોકડી નજીક બુધવારે એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તરફથી આવી રહેલી રિક્ષાને એસ.ટી. બસ સાથે અકસ્માત નડતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. બનાવ બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.





