મકાન માલિકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
હારીજ તાલુકાના કુંભાણા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 74,000ની મત્તાની ચોરી કરી છે. આ ઘટનામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ મકાન માલિકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ચોરી થયેલી મિલકતમાં આશરે એક તોલાનું રૂ. 35,000નું સોનાનું કડું, 600 ગ્રામ વજનનો રૂ. 25,000નો ચાંદીનો કંદરો, 150 ગ્રામ વજનનો રૂ. 5,000 નો ચાંદીનો ઝુડો અને રૂ. 9,000ની રોકડ રકમ મળી કુલ રૂ. 74,000 ની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે.કુંભાણા ગામના રહેવાસી અને માટીકામનો વ્યવસાય કરતા 65 વર્ષીય ગોવર્ધન કાનજી પ્રજાપતી ગત 12 જૂન, 2026ના રોજ સવારે 8:30 વાગ્યે પોતાની પત્ની રૂપાબેન સાથે અનાવાડા ખાતે માટલા લેવા ગયા હતા.મોડું થતાં તેઓ ભત્રીજીના ઘરે રાત્રિ રોકાણ માટે રોકાયા હતા. બીજા દિવસે, 13 જૂન, 2026ના રોજ સવારે 9:00 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરની પાછળની કાંટાની વાડ હટાવેલી જોવા મળી હતી. ઘરના ઓસરીમાં આવેલા બે રૂમ પૈકી જમણી બાજુના રૂમનું તાળું તૂટેલું હતું. તપાસ કરતાં કબાટમાંથી ઉપરોક્ત દાગીના અને રોકડ રકમ ગાયબ જણાઈ હતી.
આ બનાવ અંગે ગોવર્ધન પ્રજાપતીએ હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને બી.એન.એસ.ની કલમ 305(a), 331(3), 331(4) હેઠળ ગુનો નોંધાવ્યો છે.જે ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઈ દેસાઈને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.





