પરિવાર સાથે વતનમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા ગયાં ને તસ્કરો હાથ ફેરો કરી ગયા
ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ: રેલવે પોલીસ કર્મીના બંધ મકાનમાંથી ₹50,000ની રોકડની ચોરી, સ્થાનિકોમાં રોષ
પોલીસે પોતાની શાખ બચવા FIR ને બદલે અરજી લઈને સંતોષ માન્યો હતો
ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરો, મકાનો અને બોરના કેબલોના ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. રહેણાંક વિસ્તારોમાં તસ્કરો છેલ્લા કેટલાય સમયથી ચોરીઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે નવી ભીલડી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં વધુ એક ચોરીનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે.
ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ભીલડી રેલવે પોલીસમાં ફરજ બજાવતા સુરેશભાઈ કાનજીજી રાઠોડ (ઠાકોર), જેઓ મૂળ દિયોદર તાલુકાના ઓગડપુરા ગામના વતની છે, તેઓ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પરિવાર સાથે વતન ગયા હતા . તે દરમિયાન આ બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ચોરો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી તિજોરી તોડી તેમની પત્નીની ડિલિવરી માટે રાખેલ ₹50,000ની રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે ઘરનો દરવાજો તૂટેલો જોઈ પાડોશીએ ફોન પર જાણ કરતાં પરિવાર તાત્કાલિક વતનથી પરત દોડી આવ્યો હતો.
વારંવાર ભીલડી પંથકમાં બનતી આવી ઘટનાઓને પગલે સમગ્ર પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરોની સક્રિયતા વધતાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોએ રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ વધારવા અને તસ્કરોને ઝડપી પાડવા માટે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.





