20 થી 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય મહામેળો,પદયાત્રિકોમાં ઉત્સાહ
અંબાજી ખાતે આગામી તા. 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો સાત દિવસીય મહામેળો યોજાનાર છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહેતા માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાજી પહોંચશે ત્યારે મંદિર પરિસરમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ભાદરવી પૂનમ મહામેળાને લઈને મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ લેવાયેલો મહત્વનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. ધજા દંડ અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરના શિખર પર 5 મીટરથી મોટી ધજા ચઢાવવા પર પ્રતિબંધ રહેશે. માનતા મુજબ મોટી ધજા લઈને આવતા યાત્રિકોની ધજા શિખર પર ચઢાવવામાં નહીં આવે, પરંતુ સીધી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
મંદિર ટ્રસ્ટે માઈભક્તોને 5 મીટરથી મોટી ધજા શિખર માટે ન લાવવા અપીલ કરી છે. સાથે જ શ્રદ્ધાની ધજાનું સન્માન જળવાઈ રહે અને તેની પવિત્રતા સુરક્ષિત રહે તે માટે ખાસ કાળજી રાખવા જણાવાયું છે. ધજા જમીન પર ઢસડાય નહીં તેનું પણ વિશેષ ધ્યાન રાખવા તથા મંદિરના નિયમોનું પાલન કરી મહામેળાની વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા ટ્રસ્ટે યાત્રિકોને અનુરોધ કર્યો છે.





