રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા23 એપ્રિલ, 2025

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ યાત્રધામ અંબાજીમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ યાત્રધામ અંબાજીમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર
પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું; જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ યાત્રધામ અંબાજીમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અંબાજીમાં પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રિસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે, જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૭ નાગરિકોના મોત બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ હુમલાની દેશ-વિદેશમાં નિંદા થઈ રહી છે. દેશની મેગાસિટી સહિત અનેક શહેરો અને પ્રખ્યાત મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં પાલનપુર એસઓજી ટીમ, સ્થાનિક પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વિખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. મંદિર જેડ પ્લસ સિક્યુરિટી ધરાવે છે. એસઓજીના પીઆઈએ જણાવ્યું કે આજે કરવામાં આવેલા ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જો કે, પહેલગામના હુમલા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર