પાર્શલ લઈ ગયેલા ગ્રાહક સાથે સંચાલકની દાદાગીરી
શહેરમાં ખાણીપીણીની દુકાનોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણાના જાણીતા પાટીદાર પ્લાઝામાં આવેલી 'જય અંબે પાઉભાજી'માંથી ગ્રાહકને આપવામાં આવેલા પાર્સલમાંથી બગડેલા પાઉ નીકળ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હર્ષદભાઈ રાવત નામના એક ગ્રાહકે પાટીદાર પ્લાઝા સ્થિત આ 'જય અંબે પાઉભાજી'માંથી પાઉભાજીનું પાર્સલ ખરીદ્યું હતું. હર્ષદભાઈ જ્યારે આ પાર્સલ લઈને પોતાના ઘરે પહોંચ્યા અને પરિવાર સાથે જમવા માટે પાર્સલ ખોલ્યું, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. દુકાનદાર દ્વારા પાર્સલમાં આપવામાં આવેલા પાઉ સંપૂર્ણપણે બગડેલા અને અખાદ્ય હતા.
આ બાબત ધ્યાનમાં આવતા જ હર્ષદભાઈ તરત જ બગડેલા પાઉનું પાર્સલ લઈને ફરીથી 'જય અંબે પાઉભાજી' ખાતે પહોંચ્યા હતા. તેમણે દુકાનના સંચાલકને આ બગડેલા પાઉ બતાવીને તેને બદલી આપવા માટે રજૂઆત કરી હતી. પરંતુ, દુકાન સંચાલકે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ગ્રાહક સાથે ગેરવર્તણૂક કરી હતી અને બગડેલા પાઉ બદલી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દુકાનદારના આવા બેજવાબદાર અને ઉદ્ધતાઈભર્યા વર્તન બાદ હર્ષદભાઈએ જાગૃત નાગરિક તરીકે તાત્કાલિક સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી હતી. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આવી ખાણીપીણીની દુકાનો સામે ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.





