નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 3A નોટિફિકેશન રદ કરી તપાસની માંગ કરી
પાટણના સાંડેસરપાટી, બકરાતપુરા અને રાજપુર ગામના ખેડૂતોએ NH-68 રાધનપુર-પાટણ સેક્શનના નવા બાયપાસ એલાઇનમેન્ટ અને ડ્રાફ્ટ 3A નોટિફિકેશન સામે વિરોધનોંધાવ્યો છે.ખેડૂતોએ આ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 3Aનોટિફિકેશન રદ કરવા અને તટસ્થ તપાસની માંગ કરી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે, આ બાયપાસ એલાઇનમેન્ટથી તેમની કિંમતી જમીનો સંપાદનમાં જઈ રહી છે. તેઓએ જમીન સંપાદનમાં અમુક ચોક્કસ બિલ્ડરો અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે ફેરફાર કરાયા હોવાનો આરોપ લગાવ્યો છે.નાયબ કલેક્ટરને અપાયેલા આવેદનપત્ર મુજબ, NH-68 બાયપાસ રોડ માટેના જમીન સંપાદનમાં જૂની અને નવી બજાર કિંમતમાં મોટો તફાવત છે.સાંડેસરપાટી, જે પાટણ શહેરના સીટી વિસ્તારમાં આવેલ છે, ત્યાં જમીનની બજાર કિંમત રૂ. 3.50 કરોડથી વધુ છે, જ્યારે સરકારી જંત્રી મુજબ આ રકમ ઘણી ઓછી આંકવામાં આવી રહી છે. આનાથી નાના ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આ ઉપરાંત, પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે નવા ડેવલોપમેન્ટ પ્લાન અને ટી.પી. યોજનાની તૈયારી ચાલી રહી છે. આ યોજનાઓમાં સાંડેસરપાટી અને બકરાતપુરાના ખેડૂતોની જમીનમાં 40% સુધીની કપાત આવવાની શક્યતા છે. જો NH-68 બાયપાસ અને ટી.પી. પ્લાન બંને અમલમાં આવશે, તો ખેડૂતોની જમીન મોટા પાયે ગુમાવવાનો ભય છે.ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, બાયપાસનું એલાઇનમેન્ટ અમુક લોકોના અંગત હિત માટે બદલવામાં આવ્યું છે. રાજપુરના સર્વે નંબર પતાવીને સીધા સાંડેસરપાટીની હદમાં પ્રવેશ કરી, પ્રાઇવેટ સ્કૂલ, પાર્ટી પ્લોટ અને ફાર્મ નજીકથી રોડ પસાર કરાયો છે. આનાથી ભાજપ પક્ષના નેતાઓ, બિલ્ડરો અને વેપારીઓને સીધો આર્થિક લાભ પહોંચાડવાનો હેતુ હોવાનું ખેડૂતોનું કહેવું છે.આવેદનપત્રમાં બકરાતપુરા વિસ્તારમાં શંકાસ્પદ જમીન લે-વેચનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. નોટિફિકેશનમાં દર્શાવેલા બકરાતપુરા વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં જમીનના ભાવ અસામાન્ય રીતે ઉછળ્યા છે. એપ્રિલ-2025 થી ઓછી કિંમતના દસ્તાવેજ કરી દલાલો અને બિલ્ડરો દ્વારા જમીનો ખરીદી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.ખેડૂતોએ માંગણી કરી છે કે, સદરહુ 3A નોટિફિકેશન રદ કરવામાં આવે, એલાઇનમેન્ટની ફરીથી તટસ્થ ટેકનિકલ તપાસ કરવામાં આવે અને સરકારી પડતર અથવા ઓછી કિંમતવાળી જમીનો માંથી રોડ પસાર કરવાનો નવો વિકલ્પ શોધવામાં આવે, જેથી ખેડૂતોને ઓછું નુકસાન થાય.





