35 હજાર ચોરસ ફૂટ જમીનમાં અત્યાધુનિક કચેરી બનશે: કલેક્ટર અને જિલ્લા પંચાયત કચેરીની નજીક જતાં અરજદારોને મળશે સુવિધા
પાલનપુર તાલુકા પંચાયતનું જર્જરિત મકાન હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારે પાલનપુર તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણ માટે રૂ. 5 કરોડની ફાળવણી કરી મંજૂરી આપી છે. જેના પગલે પાલનપુર તાલુકા પંચાયતનું નવું અને અત્યાધુનિક ભવન આકાર પામશે.
પાલનપુર તાલુકા પંચાયતના ટીડીઓના જણાવ્યા મુજબ, પાલનપુરના નવા એસ.ટી. બસ પોર્ટની સામે જિલ્લા પંચાયત ની જગ્યામાં આશરે 35 હજાર ચોરસ ફૂટ જમીનમાં તાલુકા પંચાયતની નવી કચેરીનું નિર્માણ કરવામાં આવશે. નવી કચેરીનું સ્થળ કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની નજીક હોવાથી વિવિધ સરકારી કામકાજ માટે આવતા અરજદારો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓને મોટી સુવિધા મળશે. હાલ પાલનપુર તાલુકા પંચાયતની કચેરી કીર્તિસ્તંભ રોડ પરના જર્જરિત મકાનમાં કાર્યરત છે. જૂના મકાનમાં પાર્કિંગની પૂરતી સુવિધા ન હોવાથી અરજદારો તેમજ અધિકારીઓને વાહનો પાર્ક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત જર્જરિત મકાનને લઈને અગાઉ પણ નવી કચેરીના નિર્માણ માટે રજૂઆતો કરવામાં આવી હતી.લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગણીને પગલે હવે નવી કચેરી માટે જગ્યા ફાળવાઈ છે અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 5 કરોડની મંજૂરી આપવામાં આવી છે. નવા ભવનના નિર્માણ બાદ તાલુકા પંચાયતની કામગીરી માટે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત માળખું ઉપલબ્ધ બનશે.





