24 વર્ષ જૂના હુકમ સામે ઉગ્ર વિરોધ: વાલીઓએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
સરકારી શાળા બંધ કરાશે તો આંદોલનની ચીમકી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી ચાણક્યપુરી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાના વર્ષો જૂના સરકારી હુકમ સામે વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ના સભ્યો અને સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા બંધ થવાના સંકેતો વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ હુકમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ 2002માં શાળાની જમીન ખાનગી ટ્રસ્ટને ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા 24 વર્ષ દરમિયાન સંબંધિત જમીન પર કોઈ પ્રકારનું બાંધકામ કે કબજો કરવામાં આવ્યો ન હતો. હવે અચાનક શાળાને અન્યત્ર ખસેડવા અથવા બંધ કરવાની ચર્ચા શરૂ થતા વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.વાલીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં મુખ્યત્વે ગરીબ અને શ્રમિક વર્ગના બાળકો અભ્યાસ કરે છે. શાળા બંધ થવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડશે અને અનેક બાળકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે.
સ્થાનિક આગેવાનો અને SMC સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા સ્થળની વાસ્તવિક પરિસ્થિતિનું યોગ્ય નિરીક્ષણ કર્યા વિના જ સરકારી શાળાની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે, વિવાદાસ્પદ હુકમ રદ કરી શાળા ની જમીન સરકારના હસ્તક જ રાખવામાં આવે. વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે' કોઈપણ સંજોગોમાં સરકારી શાળા બંધ થવા દેવામાં આવશે નહીં અને જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.





