અકસ્માતમાં 12 જેટલાં મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી
ઇજાગ્રસ્તોને ડીસા અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા
ડીસા-પાલનપુર હાઇવે પર પાલનપુરના મોટા ગામના પાટીયા નજીક શનિવારે સાંજે એસ.ટી. બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં આગળ ચાલી રહેલ પાણીના ટેન્કર સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અને બસને આગળના ભાગે મોટું નુકશાન થવા પામ્યું હતું. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ડીસા-પાલીતાણા બસ નં. GJ-18-ZT-1602 ડીસાથી પાલીતાણા જઇ રહી હતી. તે દરમિયાન બસમાં 20 જેટલાં મુસાફરો સવારી કરી રહ્યા હતા. ત્યારે એસ.ટી.બસ ચાલકના ડ્રાઇવરે અચાનક ચાલુ બસમાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં નેશનલ હાઇવે ઓથોરિટીના પાણીના ટેન્કર વૃક્ષોને પાણી આપવા માટે ધીમી ગતિએ જઇ રહેલ ટેન્કરને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. તે દરમિયાન બસમાં ડ્રાઇવર, કંડકટર સહીત 12 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અન્ય 9 વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેમાં કંડકટર સહીત અન્ય એક મહીલા અને એક વ્યક્તિને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યાં હતા. ઇજાગ્રસ્ત લોકોના નામ ડ્રાઇવર દિલીપભાઇ (ઉં.વ. આ. 41 રહે. પાલીતાણા), કંડકટર સાગરભાઇ મકવાણા (ઉં.વ.આ. 37, રહે. પાલીતાણા) અન્ય મુસાફરોમાં હીનાબેન અલ્પેશભાઇ ઓડ (રહે. રાણપુર), હંસાબેન મહેશભાઇ વાઘેલા (રહે.આસેડા), પ્રકાશભાઇ પોપટભાઇ માજીરાણા (રહે. ધાનેરા), ચહેરાભાઇ કેશાભાઇ નાઇ (રહે. બાઇવાડા), દિનેશકુમાર નટવરલાલ રાઠોડ (રહે. ડીસા), દાનસુંગજી રામાજી ઠાકોર (રહે. રસાણા), મોહનભાઇ માળી (રહે. ડીસા) અને અન્ય ત્રણ વ્યક્તિઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે બસના ડ્રાઇવરે અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં બસની સ્પીડ ધીમી હોવાથી કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ ન હતી.





