પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરી ગુનો નોંધવાની માંગ કરી
વાવ તાલુકાના મોરીખા ગામના 28 વર્ષીય યુવક લખીરામભાઈ નભાભાઈ પરમાર ત્રણ દિવસથી ગુમ થયા બાદ તેમની લાશ ગામના વારિયા તળાવમાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી પોલીસ સમક્ષ હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરીખાના લખીરામભાઈ નભાભાઈ પરમાર (ઉ.વ.28) ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા તેમના પરિવારજનોએ વાવ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આજે 3 જૂને સવારે ગામના વારિયા તળાવમાં તેમનો મૃતદેહ તરતો જોવા મળતાં પરિવારજનોએ પોલીસ, મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
જાણ થતાં વાવ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને બહાર કાઢી પંચનામાની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે લખીરામભાઈની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દેવાયો છે. મૃતકના શરીર પર ઇજાના નિશાન અને લોહીના ડાઘ હોવાનો પણ પરિવારજનોએ દાવો કર્યો છે. આ મામલે ગામમાં યુવતી સાથેના પ્રેમસંબંધને લઈને અગાઉથી વિવાદ ચાલતો હોવાની લોક ચર્ચાઓ પણ ઉઠી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ મામલે વાવ પી.આઈ. એસ.એમ. વસાવાએ જણાવ્યું હતું કે ગુમની ફરિયાદના આધારે તપાસ ચાલી રહી હતી ત્યારે યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. હાલ અકસ્માતે મૃત્યુ (એ.ડી.) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.મોડી સાંજ સુધી પરિવારજનો હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆતો કરતા રહ્યા હતા, જ્યારે સમગ્ર ઘટનાનું રહસ્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ઉકેલાશે કે યુવકનું મોત હત્યા છે કે આત્મહત્યા ? તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.





