માતાજીના વિવિધ વેશ અને દેવી-દેવતાઓની વેશભૂષામાં શ્રદ્ધાળુઓનું આગમન
શ્રાવણ માસના અંતિમ દિવસોમાં શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર ખાતે ઉમટી પડતાં મંદિર પરિસરમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ દરમિયાન અંબાજી ખાતે એક અનોખો સંઘ પણ દર્શનાર્થે પહોંચ્યો હતો. સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માતાજીના વિવિધ સ્વરૂપો ઉપરાંત હનુમાનજી તેમજ અન્ય દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરીને અંબાજી પહોંચ્યા હતા. રંગબેરંગી વેશભૂષામાં સજ્જ શ્રદ્ધાળુઓને જોવા માટે અન્ય ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.નડિયાદથી આવતો આ સંઘ છેલ્લા 162 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અંબાજી ખાતે સંઘ લઈને પહોંચે છે. વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જાળવી રાખવામાં આવી છે. સંઘ દ્વારા અંબાજી ખાતે હોમ-હવન, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
આજે અંબાજી ખાતે ઇન્દોરથી પણ વેશભૂષા ધારણ કરીને શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. વિવિધ ધાર્મિક સ્વરૂપોની વેશભૂષામાં સજ્જ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીના દર્શન બાદ ભક્તોએ મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થયાની લાગણી વ્યક્ત કરી હતી.આ ઉપરાંત કેટલાક શ્રદ્ધાળુઓ પોતાના વતનથી પવિત્ર જ્યોત લઈને અંબાજી પહોંચ્યા હતા અને મંદિર ખાતે માતાજીની જ્યોત સાથે પોતાની જ્યોતનું મિલન કરાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. શ્રાવણ માસના અંતિમ દિવસે અંબાજી ખાતે ભક્તિ, પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વેશભૂષામાં સજ્જ શ્રદ્ધાળુઓ, ધાર્મિક કાર્યક્રમો અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોના કારણે સમગ્ર મંદિર પરિસર ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.





