જમીન માલિકના અવસાન બાદ કબજો ન છોડતા ગુનો દાખલ કરાયો
સરસ્વતી તાલુકાના વારેડા ગામની સીમમાં કરોડોની કિંમતની ખેતીલાયક જમીન પચાવી પાડવા બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ સુજનીપુર ગામના સાકરબેન ઠાકોર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સાકરબેનના પતિ અમૃતજી ઠાકોરે વર્ષ 2011માં વારેડા ગામે સર્વે નંબર 245 (જુનો સર્વે નંબર 97) વાળી 2-26-74 હેક્ટર જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી.આ જમીન તેમણે ગામના નાગજી રામચંદજી ઠાકોર, મદારજી રામચંદજી ઠાકોર, કુંવરજી રામચંદજી ઠાકોર, વિરમજી રામચંદજી ઠાકોર અને બાલાજી રામચંદજી ઠાકોરને ભાગેથી વાવવા માટે આપી હતી.વર્ષ 2021માં જમીન માલિક અમૃતજી ઠાકોરનું અવસાન થતાં, સાકરબેન અને તેમના સંતાનોએ જમીનનો કબજો ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, સામેવાળા વ્યક્તિઓએ જમીન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ શખ્સોએ અગાઉ પાટણ અને સરસ્વતી કોર્ટમાં જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવા દાવો કર્યો હતો, જે 04/09/2019ના રોજ કોર્ટે ના મંજૂર કર્યો હતો. કાયદાકીય લડત બાદ અરજદારે પાટણ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ઓનલાઈન અરજી કરી હતી. જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની તપાસમાં જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાનું સાબિત થયું હતું. આથી, કલેક્ટર દ્વારા 16/12/2025ના રોજ સામેવાળા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. મામલતદાર સરસ્વતી દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ આપવા છતાં નિયત સમયમાં કબજો ન સોંપતા, આખરે પાંચેય શખ્સો વિરુદ્ધ સરસ્વતી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.





