સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી રસ દાખવે તેવી લોકોની માંગણી
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું સૌથી મોટા ગામ જુનાડીસામાં આરોગ્યની સેવાઓને લઈને અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. જુનાડીસા ગ્રામ પંચાયત સહિત ગામના જાગૃત આગેવાનો દ્વારા આરોગ્ય કમિશનર સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને જુનાડીસાને સીએચસીની મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી .જેથી ગામ લોકોને હાલમાં આરોગ્યની સેવા માટે ડીસા સુધી લાંબુ થવું પડે છે.
જુનાડીસા એ આસપાસના વિસ્તારમાં એક લાખથી વધુ વસ્તીના લોકો માટે મુખ્ય સેન્ટર છે અને 20 થી 25 ગામના લોકોની રોજ જૂનાડીસામાં અવર જવર રહેતી હોય છે ત્યારે ઈમરજન્સી સારવાર માટે ઘણી વખત લોકોને ડીસા સુધી પહોંચતા જીવ પણ ગુમાવ્યા હોવાની પણ ઘટનાઓ બની ચૂકી છે. ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ઝેરી જીવજંતુ કે આકસ્મિત ઘટના બને ત્યારે ડીસા સુધી પહોંચવુ લોકો માટે મુશ્કેલી બને છે અને જુનાડીસા પાસે આવેલી રેલવે ફાટક પણ વારંવાર બંધ હોવાના કારણે એમ્બ્યુલન્સ કે ખાનગી વાહન પણ ડીસા સુધી સમયસર પહોંચી શકતું નથી. જેના કારણે આકસ્મિક ઘટનામાં લોકોને જીવ ગુમાવવો પડે છે. હાલમાં પીએસસી હોવાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓની અવરજવર રહેતી હોય છે અને લોકોને લાંબા સમય સુધી સારવાર માટે કતારમાં ઊભા રહેવું પડે છે સાથે વૃદ્ધ મહિલાઓ અને પેન્શનર દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં આ પીએસસીમાં લેબ લેબોરેટરી,એક્સરે કે ઇમરજન્સી કોઈ જ પ્રકારની સુવિધા ન હોવાના કારણે દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે અને રોજે 300 થી 400 દર્દીઓને પૂરતી સારવાર ન મળવાના કારણે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે.
જોકે આમ તો રાજ્ય સરકાર આરોગ્યની સેવા બાબતે સતત ચિંતિત છે ત્યારે જુનાડીસા ગામમાં આરોગ્યની બાબતને લઈને થયેલી અવગણનાને લઈને લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ગામના પૂર્વ સાંસદ દિનેશ અનાવડીયા અને હાલના આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી અંગત રસ દાખવી સરકાર સમક્ષ માગણી કરીને આ વિસ્તારને આરોગ્યની પૂરતી સુવિધા ઉભી કરાવવી જોઈએ.જો પીએચસીને સીએચસીનો દરજ્જો આપવામાં આવે તો દર્દીઓની મુશ્કેલીનો અંત પણ આવે તેમ છે.





