અમુક વિભાગના અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં નારાજગી
ડીસા તાલુકાના જુનાડીસા ગામે સિદ્ધ અંબિકા મંદિર ખાતે ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાયેલ.જેમાં ગામના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી. સરપંચ અમૃતભાઈ જે. પુનડીયા તથા જિલ્લા ડેલિગેટ આંચલબેન બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.
સભા દરમિયાન ગ્રામજનોએ રસ્તા, પાણી, સફાઈ સહિતના અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાંથી કેટલાક પ્રશ્નોનું દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ફારૂકભાઈ દાણી અને હાજર સરકારી અધિકારીઓના સહયોગથી સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.જોકે, અમુક વિભાગોના અધિકારીઓ ગેરહાજર રહેતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો ન હતો.જેને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. ગ્રામ પંચાયત દ્વારા ગેરહાજર અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગવાની ખાતરી પણ આપવામાં આવી હતી. સભાના અંતે ગામના પારદર્શક અને સર્વાંગી વિકાસ માટે જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારી- પદાધિકારીઓ સાથે ગામના આગેવાનો દ્વારા વિકાસલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.





