ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના ભગીરથ પ્રયાસો સફળ; છેવાડાના ખેડૂતોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યાનો આવશે કાયમી અંત
ટીટોડા, ભાચરવા અને રોબસ સહિતના ગામોની કેનાલમાં સીધું પાણી નાખવાની મંજૂરી મળતા હજારો હેક્ટર જમીનને થશે સીધો ફાયદો; મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર માનતા ખેડૂતો
ડીસા તાલુકાના ૨૫ ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા સીપુ ડેમ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક અને લોકાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસાના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના સતત અને ભગીરથ પ્રયાસોના પરિણામે હવે થરાદ-સીપુ પાઈપલાઈનમાંથી વધુ ૫ અલગ-અલગ જગ્યાએથી નર્મદાનું પાણી સીધું કેનાલમાં નાખવાની ઐતિહાસિક મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયથી છેવાડાના વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચશે અને હજારો હેક્ટર જમીનને નવું જીવન મળશે.અગાઉ સરકાર દ્વારા થરાદ-સીપુ પાઈપલાઈન મારફતે કેનાલના 0 (ઝીરો) પોઈન્ટ પર નર્મદાના પાણી નાખીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી હતી. પરંતુ પાઈપલાઈનની લંબાઈ વધારે હોવાને કારણે ૨૫ ગામોના છેવાડાના વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચી શકતું ન હતું. ખેડૂતોની આ વિકટ સમસ્યાને વાચા આપતા મંત્રી પ્રવીણભાઈ માળીએ રાજ્ય સરકારમાં સઘન રજૂઆતો કરી હતી, જેને હવે સફળતા મળી છે.
હવે નવી મંજૂરી અનુસાર, ટીટોડા, ભાચરવા, રોબસ નાની અને રોબસ મોટી સહિતના ગામોની સીપુ કેનાલમાં સીધું નર્મદાનું પાણી વહેવડાવવામાં આવશે. જેનાથી અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સુધી પણ સિંચાઈનું પાણી ખૂબ જ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં પહોંચશે. આ નિર્ણયથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.ખેડૂતોના હિતમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ ડીસા તાલુકાના તમામ ખેડૂતો અને ગ્રામજનો વતી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સિંચાઈ મંત્રી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયની સાથે જ ડીસા તાલુકાના અન્ય પછાત વિસ્તારોના ખેડૂતોમાં પણ નવી આશાનો સંચાર થયો છે. હાલમાં ડીસા તાલુકાના શમશેરપુરા, જોરાપુરા, ગોઢા, કાપરા, કમોડી, વરણ, શેરપુરા અને કન્સારી સહિતના અનેક ગામોમાં પાણીના તળ ખૂબ જ નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાંથી પસાર થતી જૂની સીપુ કેનાલ સમય જતાં જર્જરિત થઈ છે અને કેટલાક સ્થળોએ સ્થાનિક દબાણોને કારણે ક્ષતિગ્રસ્ત થઈ છે. જો આ યોજના અંતર્ગત આ વિસ્તારોની કેનાલનું સમારકામ (પુનઃઉદ્ધાર) કરીને દબાણો દૂર કરવામાં આવે અને કેનાલ મારફતે ખેતી તેમજ પશુપાલન માટે પાણી પહોંચાડવામાં આવે, તો આગામી સમયમાં આ પંથકના હજારો ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે પગભર થઈ શકે તેમ છે. આ પ્રશ્ન પર પણ સરકાર આગામી દિવસોમાં હકારાત્મક નિર્ણય લે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.





