ચોમાસામાં રસ્તાઓની સુરક્ષા અને પાણીના ત્વરિત નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગ,રાજ્ય (પાટણ)ની 9 ટીમો 24 કલાક કાર્યરત
પાટણ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો પર વરસાદી પાણીનું ઓવર
ટોપિંગ થતાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ચોમાસાની પરિસ્થિતિમાં રસ્તાઓની સુરક્ષા જળવાઈ રહે તેમજ વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થઈ શકે તે માટે માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય (પાટણ)ની કુલ 9 ટીમો 24 કલાક સતત કાર્યરત રાખવામાં આવી છે.ભારે વરસાદના કારણે રાધનપુર–લોદ્રા–મોરવાડા રાજ્ય ધોરી માર્ગ, મઢુત્રા–દાત્રાણા–બરારા–ધોકાવાડા મુખ્ય જિલ્લા માર્ગ થી તેમજ અડીયા–ચંદ્રુમણા–મણિયારી–મીઠીધારીયાલ માર્ગ પર વરસાદી પાણીનું ઓવરટોપિંગ થતાં આ ત્રણેય માર્ગો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વરસાદી પાણીનું ઓવર ટોપિંગ સંપૂર્ણપણે ઓસરે નહીં ત્યાં સુધી નાગરિકોને ઉપરોક્ત માર્ગોનો ઉપયોગ ન કરવા તેમજ સલામત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા પણ અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત,ભારે વરસાદને કારણે હારીજ–લોટેશ્વર રોડ તથા હારીજ–પાટણ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં હારીજ પેટા વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી મેનપાવર અને મશીનરી તૈનાત કરીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમની ઝડપી કામગીરીના પરિણામે માર્ગ પરથી વરસાદી પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો અને વાહનવ્યવહારને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળે, તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે અને પોતાની તથા અન્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે.





