મહેસાણા જિલ્લામાં ચોમાસાના વિલંબને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. વરસાદ ખેંચાવાના લીધે ખરીફ પાકની વાવણીના તમામ આયોજનો ખોરવાઈ ગયા છે. કપાસ, કઠોળ અને બાજરી જેવા મહત્વના પાકોનું વાવેતર અટકી પડ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક કેનાલોમાં સિંચાઈ માટે પાણી ન અપાતા ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર ઘટવાથી ૧૨૦૦ ફૂટ ઊંડા બોરવેલ પણ નિષ્ક્રિય સાબિત થયા છે, જેથી હવે તાત્કાલિક ધોરણે કેનાલનું પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ચૂક્યું છે, પરંતુ હાલ પૂરતો વરસાદ દક્ષિણ ગુજરાત પૂરતો જ સીમિત રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય સંજોગોમાં આ સમયગાળા સુધીમાં મગ, કઠોળ અને બાજરીનું વાવેતર પૂર્ણ થઈ જતું હોય છે, પરંતુ પાણીના અભાવે આ વર્ષે ખેડૂતોનું આખું શિડ્યુલ બગડી ગયું છે. એક તરફ જમીનમાં તળ ઊંડા ગયા હોવાથી ટ્યુબવેલમાંથી પાણી મળતું નથી, અને બીજી તરફ માઇનોર કેનાલો પણ સૂકીભઠ્ઠ છે. આ બેવડી આફત વચ્ચે ખેડૂતો વહેલી તકે કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ મરચાં, કપાસ અને અન્ય પાકોની વાવણી સત્વરે શરૂ કરી શકે.
હાલમાં તો ઉત્તર ગુજરાતના ખેડૂતો ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ચાલુ વર્ષે અલ-નીનોની સંભવિત અસરના કારણે ચોમાસું નબળું રહેવાના ભણકારા વાગી રહ્યા છે. તેમાં પણ શરુઆતથી જ મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતોની ચિંતા બમણી થઈ ગઈ છે. વરસાદના કોઈ સ્પષ્ટ એંધાણ ન હોવાથી મોંઘા બિયારણો લાવીને વાવેતરનું જોખમ ખેડવું કે પછી હજુ થોડી રાહ જોવી, તેવી મોટી દ્વિધામાં જગતનો તાત મુકાયો છે.





