હવામાન વિભાગની મધ્યમથી હળવો વરસાદની આગાહી કરવામાં આવી
વરસાદથી નુકસાન ન થાય તે માટે પશુપાલકો અને ખેડૂતો ઘાસચારો સગેવગે કરવા કામે લાગ્યા
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની કરવામાં આવેલી આગાહીને પગલે સમગ્ર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને પોતાના કિંમતી ખેતી પાકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધના ધોરણે કામે લાગી ગયા છે. નૈઋત્ય ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની પ્રબળ શક્યતાઓ જોતા જગતનો તાત ચાલુ સિઝનનો પાક વહેલી તકે બચાવી લેવા સક્રિય થયો છે.
હાલમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાજરી અને મગફળી સહિતના મહત્વના ઉનાળુ પાકો લેવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વરસાદના કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ હોવાથી ખેતરોમાં બાજરીની કાપણી અને સંગ્રહ માટે થ્રેસરોનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ કટોકટીના સમયે સ્થાનિક થ્રેસરોની સાથે સાથે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં અત્યાધુનિક ઓટોમેટિક થ્રેસરો જિલ્લામાં આવી પહોંચ્યા છે, જેના માધ્યમથી ખેડૂતો ખૂબ જ ઝડપથી પાક લેવાની કામગીરી પૂર્ણ કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી ૩1 મે થી ૭ જૂન દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનના કારણે સમગ્ર વાતાવરણ ધૂંધળુ બન્યું છે, જોકે આ પવને કાળઝાળ જીવલેણ ગરમીમાંથી લોકોને આંશિક રાહત ચોક્કસ અપાવી છે.નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લો માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન ક્ષેત્રે પણ અગ્રેસર છે. આથી, વરસાદી માહોલ વચ્ચે પશુઓ માટેના કિંમતી ઘાસચારાને મોટું નુકસાન ન થાય તે માટે પશુપાલકો પણ ભારે સાવચેતી રાખી રહ્યા છે. ખુલ્લામાં રાખેલો ઘાસચારો પલળીને બગડી ન જાય તે હેતુથી તેને સલામત સ્થળે અને ગોડાઉનોમાં સગેવગે કરવાની કામગીરી રાત-દિવસ એક કરીને કરવામાં આવી રહી છે. ધૂંધળા વાતાવરણ વચ્ચે પણ સમગ્ર જિલ્લાની સીમમાં અત્યારે માત્ર અને માત્ર કૃષિ કાર્યોની જ દોડધામ નજરે પડી રહી છે





