આદર્શ હાઇસ્કુલ સામે મામલતદાર રોડ પર વારંવાર ટ્રાફિકજામ
રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ — પાલિકા તંત્ર સામે સવાલો
ડીસા શહેરના હાર્દ સમાન ગણાતા જલારામ મંદિરથી મામલતદાર રોડ, આદર્શ હાઇસ્કુલ સામે થઈ બગીચા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણોનો એવો રાફડો ફાટ્યો છે કે હવે સ્થાનિક લોકો, વેપારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે.
શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાં આવતા આ વિસ્તારમાં દુકાનદારો દ્વારા દુકાનની હદ પાર કરી જાહેર રસ્તા ઉપર સરસામાનના ઢગલા, જાહેરાતોના વિશાળ બોર્ડ, શેડ, લારીઓ અને અન્ય સામગ્રી મૂકી ખુલ્લેઆમ દબાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, રસ્તાઓ દિવસેને દિવસે સાંકડા બનતા જઈ રહ્યા છે. અને પગપાળા પસાર થનારા લોકોને જીવના જોખમે રસ્તા પરથી પસાર થવું પડે છે. ખાસ કરીને શાળાના સમય દરમિયાન આદર્શ હાઇસ્કુલ સામે વિદ્યાર્થીઓ, વાલીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિ રોજબરોજ સર્જાઈ રહી છે, છતાં પાલિકા તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.જેના કારણે વેપારીઓમાં પણ આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, “અમુક દબાણદારો જાહેર રસ્તા ઉપર પોતાનો કબજો જમાવી રહ્યા છે, જેના કારણે અન્ય વેપારીઓના ધંધા ઉપર પણ માઠી અસર પડી રહી છે. નિયમોનું પાલન કરનારા વેપારીઓને નુકસાન સહન કરવું પડે છે, જ્યારે દબાણ કરનારા બેફામ બની ગયા છે.”
માર્ગ ઉપર મૂકાયેલા મોટા મોટા જાહેરાત બોર્ડ અને દુકાનો બહાર ફેલાવવામાં આવેલ સામાનને કારણે અનેક વખત નાના મોટા અકસ્માતોની ભીતિ પણ ઉભી થઈ રહી છે. રાહદારીઓએ આક્ષેપ કર્યો હતો કે, “કેટલાક સ્થળોએ તો બે વાહનો સામસામે પસાર થઈ શકે તેવી પણ જગ્યા બચી નથી. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.” વિસ્તારના જાગૃત નાગરિકોમાં પણ પાલિકા તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે શહેરમાં સમયાંતરે દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવે છે. થોડા દિવસો માટે દબાણો દૂર થાય છે, પરંતુ બાદમાં ફરી એ જ સ્થિતિ ઉભી થઈ જાય છે. જેના કારણે લોકોમાં હવે તંત્રની નીતિ અને ઈચ્છાશક્તિ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે જલારામ મંદિરથી બગીચા સર્કલ સુધીના સમગ્ર માર્ગનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જાહેર રસ્તા ઉપર થયેલા તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે. સાથે જ વારંવાર દબાણ કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં ફરીથી કોઈ જાહેર માર્ગ ઉપર કબજો કરવાની હિંમત ન કરે. શહેરના નાગરિકો અને વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો પાલિકા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હાલ સમગ્ર શહેરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, જાહેર રસ્તાઓ ઉપર દબાણદારોનો કબજો ક્યારે હટશે અને સામાન્ય નાગરિકોને ક્યારે રાહત મળશે ?





