એક તરફ માલનો ભરાવો અને બીજી તરફ મજુરોની અછત ઉત્તર ગુજરાતમાં મોખરાના ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારો બાદ આવકો વધવા લાગતા તેમજ તહેવારોના કારણે મજૂરોની અછત હોવાથી માર્કેટયાર્ડમાં માલનો મોટા પ્રમાણમાં ભરાવો થતાં માલનો નિકાલ કરવા તારીખ 13 અને 14 નવેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ડીસા માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારો બાદ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. એક તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરી છે. જેમાં સરકાર દ્વારા પ્રતિ મણે રૂપિયા 1356 નો ભાવ આપવામાં આવે છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લી હરાજીમાં પણ મગફળીના આ પ્રકારના ભાવ મળી રહેતા હોવાથી તેમજ માર્કેટયાર્ડમાં રોકડા નાણા મળતા હોવાથી ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ વેચવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દિવાળીના તહેવારો બાદ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી સહિતની જણસીઓની આવક સતત વધી રહી છે.






