લાખણી તાલુકાના ગેળા ગામમાં ભુરપુરીના ઘર આગળ આવેલો વીજ થાંભલો જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાઈ થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે છ મહિના અગાઉ વીજ વિભાગમાં લેખિત અરજી કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી થાંભલો બદલવા કે સુરક્ષિત કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વીજ વિભાગના ઈજનેરને પણ અનેક વખત મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. થાંભલો રહેણાંક મકાનની નજીક હોવાથી કોઈ વ્યક્તિ કે વાહન ઉપર પડી જાય અને દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? તેવો સવાલ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, “ થાંભલો કોઈ વ્યક્તિ ઉપર પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.” તેથી વીજ વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ જર્જરિત વીજ થાંભલો દૂર કરી નવો થાંભલો ઉભો કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. છ મહિના અગાઉ અરજી છતાં કાર્યવાહી નહીં થતાં હવે વીજ વિભાગ ક્યારે જાગશે ? તેવો સવાલ પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.





