તંત્ર દ્વારા તાત્કાલિક રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો દ્રારા માંગ
રાધનપુર પંથકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે તારાજી સજૉઈ છે. તાલુકાના દેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો દ્રારા માંગ કરવામાં આવી છે.
રાધનપુરથી ભાભર હાઈવે ઉપર આવેલા દેવ ગામના તળાવમાં ભારે વરસાદ ના કારણે નવા નીર આવતા વર્ષો જૂનું આ વિશાળ તળાવ છલકાઈ જતા આસપાસમાં વસવાટ કરતા લોકોના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાતભર ઉચાટમાં ગુજારી રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સ્થાનિક સરપંચના પતિ ભવાનભાઈ પટેલ અને તેમના સહયોગીઓએ જહેમત ઉઠાવી હતી. અને બિસ્કિટ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના 100 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે સત્વરે સર્વે હાથ ધરવામાં આવે અને તત્કાલ રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેમજ લોકોને કેશડોલ્સ પણ ચુકવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્રારા કરવામાં આવી છે. દેવ ગામમાં સર્જાયેલી વરસાદી પાણીની સમસ્યાને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિને ઉજાગર કરતા કેટલાક દ્રશ્યો તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે.





