તા.૦૧ જૂનની મધ્યરાત્રિએ દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ફાટી નીકળેલા ભયંકર વાવાઝોડાને કારણે સીમ તળ અને ગામ તળમાં મોટા પાયે નુકસાન થવાના અહેવાલો સામે આવ્યા છે. આ કુદરતી આફતને પગલે દિયોદર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિતમાં રજૂઆત કરીને વહેલી તકે યોગ્ય સર્વે કરાવી પીડિતોને આર્થિક સહાય અને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
સરપંચ એસોસિએશન દ્વારા કરાયેલી સત્તાવાર રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગત રાત્રિના વાવાઝોડાથી દિયોદર તાલુકાના તમામ ગામોમાં ભારે તબાહી મચી છે. જેમાં ગ્રામજનોના ઘરના પતરા, શેડ, નેવા ઉડી ગયા છે, પશુધનને હાનિ પહોંચી છે અને અન્ય માલ-મિલકતોને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત ખેડૂતોના હાથમાં આવેલો ઉનાળુ પાક પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં ધરતીપુત્રો આર્થિક સંકટમાં મુકાયા છે.
સરપંચ એસોસિએશને રજૂઆતમાં એક મહત્વનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, સામાન્ય રીતે સરકારના પ્રવર્તમાન પરિપત્ર મુજબ માત્ર 'ગામ તળ' (ગામના મુખ્ય રહેણાંક વિસ્તાર)માં જ નુકસાનીનો સર્વે કરવામાં આવતો હોય છે. પરંતુ દિયોદર તાલુકાની ભૌગોલિક સ્થિતિ જોતાં, અહીંના મોટાભાગના પરિવારો પોતાના ખેતરોમાં એટલે કે 'સીમ તળ'માં વસવાટ કરે છે. આથી, જૂનો પરિપત્ર રદ કરીને ગામ તળની સાથે-સાથે સીમ તળમાં થયેલા નુકસાનનો પણ તાત્કાલિક સર્વે કરવામાં આવે તો જ સાચા પીડિતોને ન્યાય મળી શકે. આ આપત્તિજનક સ્થિતિમાં ગરીબ પરિવારો અને ખેડૂતો પાયમાલ ન થઈ જાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ટીમ બનાવી, નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરી, તાત્કાલિક અસરથી સહાય મંજૂર કરવામાં આવે તેવી દિયોદર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.





