હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીવાયએસપીને આવેદન પત્ર અપાયુ
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગૌરક્ષકો પર થયેલા જીવલેણ હુમલા અને હિન્દુ યુવા સંગઠનના જવાબદાર હોદ્દેદારોને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે આજે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા ડીવાયએસપી કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સંગઠને આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે કહ્યું છે કે આ બાબતે પગલાં લેવામાં નહીં આવે તો બંધનું એલાન આપીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ડીસા શહેરમાં ગૌરક્ષક ગણેશભાઈ ગોસ્વામી અને પ્રકાશસિંહ ઠાકોર પર કાયરતાપૂર્ણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હુમલાખોરો સામે કાયદેસરના કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.સંગઠનના અધ્યક્ષ મનોજભાઈ ઠાકોર અને રાહુલભાઈને ઓડિયો ક્લિપ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. અધર્મી અને ગુનાહિત માનસિકતા ધરાવતા આવા તત્વો સામે ત્વરિત પોલીસ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી હોવાનું સંગઠને જણાવ્યું હતું.
હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠાના જિલ્લા અધ્યક્ષ મનોજ સી.ઠાકોર અને અન્ય કાર્યકરોએ ડીવાયએસપીને આવેદન આપી સ્પષ્ટ કર્યું હતું કે, જો આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સંગઠન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આગામી દિવસોમાં ડીસા બંધનું એલાન આપવાની પણ ફરજ પડશે.





