ડીસા સહિત જિલ્લામાં વગડે ઉગેલું ઘાસ સુકાયું, ખરીફ પાક પર પણ વરસાદની અછતની અસર
વરસાદ પર નિર્ભર ખેડૂતોની આકાશ તરફ મીટ, ભૂગર્ભ જળસ્તર નીચું હોવાથી સિંચાઈનો વિકલ્પ મુશ્કેલ
આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઉભા પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ
ચાલુ ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. ડીસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના લાંબા વિરામના કારણે વગડે ઉગેલું ઘાસ સુકાઈ જવા લાગ્યું છે, જ્યારે ખેતરોમાં વાવેતર કરાયેલા ખરીફ પાકને પણ જરૂરી ભેજ અને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદથી વગડામાં ઘાસચારો ઊગી નીકળ્યો હતો. જેના કારણે રખડતા પશુઓને ચારો મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ વરસાદ નહીં થતાં ઘાસ સુકાઈ જતાં પશુપાલકો અને રખડતા પશુઓની મુશ્કેલીમાં વધારો થયો છે હવે ખેડૂતોની નજર ફરી મેઘરાજા પર મંડાઈ છે. જો આગામી દસેક દિવસ સુધી વરસાદ નહીં પડે તો વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે ખેતીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂરી સર્વે કરાવી યોગ્ય સહાય અને પાણીની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી રહી છે.





