જિલ્લામાં 12 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી ગરમીમાં રાહત, પરંતુ ખેડૂતોમાં ચિંતા
બાજરી સહિત ઉભા પાકોને પવનના કારણે નુકસાન થવાની ભીતિ
સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લોમાં વૈશાખ માસની આકરી ગરમી વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બુધવારે દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ સાંજના સમયે ધૂળની ડમરીઓ ઉડતાં સમગ્ર વિસ્તાર ધૂંધળો બન્યો હતો. ગુરુવારે જિલ્લામાં આશરે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હવામાં ધૂળનું આવરણ છવાઈ ગયું હતું.
ઉનાળાની સિઝનમાં સરહદી વિસ્તારોમાં ધૂળભરી આંધીઓ સામાન્ય બની રહેતી હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે. જિલ્લામાં તાપમાનનો પારો અંદાજે 40 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. જોકે, ધૂળયુક્ત વાતાવરણને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને શ્વાસના દર્દીઓ અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ધૂળની ડમરીઓના કારણે દૃશ્યતા ઘટી હતી.





