ખાનગી હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને સરકારી આરોગ્ય તંત્ર વચ્ચે સંકલન વધારી વહેલી ઓળખ, સમયસર સારવાર અને અસરકારક રિફરલ સિસ્ટમ પર ભાર
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા રોગ સામે અસરકારક નિયંત્રણ, પૂર્વ તૈયારી અને તમામ સ્તરે સુમેળભરી કામગીરી સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરએ ચાંદીપુરા રોગ અંગે સંપૂર્ણ સતર્કતા રાખવા, સર્વેલન્સ વ્યવસ્થા વધુ સશક્ત બનાવવા તથા શંકાસ્પદ કેસોની વહેલી ઓળખ કરી સમયસર યોગ્ય સારવાર શરૂ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ગંભીર દર્દીઓને સમયસર ઉચ્ચ કક્ષાની આરોગ્ય સંસ્થામાં પહોંચાડી શકાય તે માટે રિફરલ સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવા અને દરેક સ્તરે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
બેઠક દરમિયાન ફિલ્ડ લેવલ પર કાર્યરત આરોગ્ય ટીમો દ્વારા સતત દેખરેખ, અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, દર્દીઓના અસરકારક ક્લિનિકલ મેનેજમેન્ટ તેમજ આરોગ્ય સંસ્થાઓ વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે જનસ્વાસ્થ્યની સુરક્ષા જિલ્લા વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચાંદીપુરા રોગ સામે અસરકારક પ્રતિસાદ માટે જિલ્લા સ્તરે સુવ્યવસ્થિત આયોજન, ઝડપી નિર્ણયક્ષમતા અને આરોગ્ય વિભાગ, ખાનગી હોસ્પિટલો તથા મેડિકલ કોલેજો વચ્ચે સતત સંકલન દ્વારા દરેક જરૂરી પગલાં લેવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લાના ખાનગી તેમજ મેડિકલ કોલેજના બાળરોગ નિષ્ણાતો, CDMO, RMO, સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસરો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ જોડાયા હતા.





