વરસાદ ખેંચાતા પાક સુકાઈ જતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી
પાક ધિરાણ માફ કરી કૃષિ સહાય પેકેજ જાહેર કરવાની માંગ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને મામલતદાર જી.એસ. દરજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, કાંકરેજ તાલુકામાં અગાઉ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. જોકે, ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતાં અનેક વિસ્તારોમાં પાકને પૂરતું પાણી મળી શક્યું નથી અને પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
ખેડૂતોની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે, ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેમજ તાત્કાલિક કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ, મંત્રી મફાભાઈ દેસાઈ, તળજાભાઈ દેસાઈ, પદમાભાઈ પટેલ, વાઘાભાઈ રતનગઢ, ભાયરામભાઈ રાવલ સહિત ભારતીય કિસાન સંઘ કાંકરેજના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





