જિલ્લા-તાલુકા કક્ષાએ વિશિષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને વિશિષ્ટ યોગદાન આપનાર શિક્ષકોના સન્માન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને ડાયેટ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિન નિમિત્તે ‘સાબરકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’નું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની અધ્યક્ષતામાં શ્રી નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, ૫ સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્ત્વચિંતક તથા શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને સ્મરણ કરી આ દિવસે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાનું સન્માન કરવામાં આવે છે.
આ સન્માન સમારોહમાં નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચાર્ય મદનસિંહ ચૌહાણ, અગ્રણી બિપિન ઓઝા, પ્રકાશ વૈધ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણવિદો, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.





