સારવારથી પ્રભાવિત પરિવારે 51 હજારનું દાન અર્પણ કર્યું
દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની 35 વર્ષીય લીલાબેન જેગોડા છેલ્લા પાંચ વર્ષથી પેશાબ સંબંધિત ગંભીર તકલીફથી પીડાઈ રહ્યા હતા. ડીસા, પાલનપુર અને અમદાવાદની અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર અને લાખો રૂપિયાનો ખર્ચ છતાં રાહત મળી નહોતી.
બાદમાં બનાસ જનરલ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી. સંપૂર્ણ તપાસ બાદ વિશેષ ઇન્જેક્શન અને દવાઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી. પ્રથમ સારવારથી જ નોંધપાત્ર રાહત મળી અને કોર્સ પૂર્ણ થતા લીલાબેન સંપૂર્ણ સ્વસ્થ બન્યા.
વર્ષોની પીડામાંથી મુક્તિ મળતાં પરિવારજનોએ બનાસ જનરલ હોસ્પિટલની સેવાથી પ્રભાવિત થઈ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને રૂ.51 હજારનું દાન અર્પણ કર્યું, જેથી અન્ય દર્દીઓને પણ લાભ મળી શકે. લીલાબેને હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે યોગ્ય નિદાન, અનુભવી સારવાર અને માનવીય અભિગમથી તેમને નવી જિંદગી મળી છે.





