મહેસાણા મહાનગરપાલિકા (મનપા) દ્વારા લેવામાં આવતા નિર્ણયો વારંવાર વિવાદનું કારણ બની રહ્યા છે. તાજેતરમાં જ મનપા દ્વારા વધુ એક વખત "બુદ્ધિનું પ્રદર્શન" કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 12 અને 13ને જોડતા કસ્બા રોહિતવાસ નજીક મનપા દ્વારા મૃત પ્રાણીઓના નિકાલ માટેનું નવું સ્થળ બનાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જે સ્થળે મૃત પ્રાણીઓના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તે બિલકુલ રહેણાક વિસ્તારની નજીક છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ જ સ્થળની બાજુમાં પીવાના પાણીની ઓવરહેડ ટાંકી આવેલી છે. મૃત પ્રાણીઓના અવશેષો અને તેમાંથી આવતી દુર્ગંધને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. મૃત પ્રાણીઓના નિકાલથી ઊભી થતી ગંદકી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કેટલાક નાગરિકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતર કરવું પડે તેવો ઘાટ ઘડાયો છે.
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે આજે સ્થાનિક નાગરિકોએ એકઠા થઈને મહેસાણા મનપા કચેરીએ ધસી જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ મ્યુનિસિપલ કમિશનર/અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને આ મૃત પ્રાણીઓના નિકાલના સ્થળને તાત્કાલિક ધોરણે અન્ય વૈકલ્પિક જગ્યાએ ખસેડવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા આ જ વિસ્તારમાં પીવાના પાણીની ટાંકી નજીક અગાઉ ગટર પમ્પિંગ સ્ટેશન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેનો પણ સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી એ જ વિસ્તારમાં નવો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે લોકમુખે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મનપાના કોઈ ઉચ્ચ અધિકારીના 'યુ-ટ્યુબર સંબંધીને મનપાના પ્રચાર માટે રીલ્સ બનાવવાનું કામ સોંપવામાં આવી રહ્યું છે. એક તરફ પ્રજા પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્યના પ્રશ્નોથી પીડાઈ રહી છે, ત્યારે બીજી તરફ અધિકારીઓ પોતાના મળતિયાઓને કામ પધરાવવામાં વ્યસ્ત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મહેસાણા મનપાના આ નિર્ણયથી સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. હવે જોવું એ રહે છે કે આવેદનપત્ર મળ્યા બાદ મનપા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને પ્રજાના હિતમાં આ સ્થળ બદલવાનો નિર્ણય લે છે કે કેમ.?





