અંડરપાસના કામમાં વિલંબ ટાળવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું સુધાર્યું
અંબાજી ટાઉનમાં ચાલી રહેલા અંડરપાસના બાંધકામને સમયસર પૂર્ણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા અગાઉ જાહેર કરાયેલા ટ્રાફિક પ્રતિબંધમાં આંશિક ફેરફાર કરીને અંબાજી મંદિર પરિસર વિકાસ પ્રોજેક્ટની કામગીરી સાથે સંકળાયેલી પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડના બાંધકામ સામગ્રી અને ભારે મશીનરી વહન કરતા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ મુક્તિ માત્ર તેવા વાહનોને જ લાગુ પડશે કે જેમની પાસે પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડના નામનું માન્ય ચલણ, બિલ અથવા અન્ય સત્તાવાર આધાર દસ્તાવેજો ઉપલબ્ધ હશે. ઉપરાંત, એજન્સી દ્વારા ખાતરી આપવામાં આવશે કે તમામ વાહનો સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સૂચનાઓનું ચુસ્ત પાલન કરશે તેમજ વાહનોની અવરજવર દરમિયાન સ્થાનિક ટ્રાફિકને કોઈપણ પ્રકારની અડચણ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ મૂળ જાહેરનામાની અન્ય તમામ શરતો, પ્રતિબંધો અને સમયગાળો યથાવત રહેશે. જાહેરનામાના કોઈપણ પ્રાવધાનનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૧ અને ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





