ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ
કાંકરેજ તાલુકાની કંબોઈ ચોકડીથી દુદાસણ ઉંદરા- રોડ ઉપર તારીખ ૩૧/૫/૨૦૨૬ ની રાત્રે અંદાજે ૧૧ વાગ્યા આસપાસ રોડની બાજુમાં આવેલી ચામુંડા સો મીલના માલીક સુથાર કાન્તિભાઈ વિસાભાઈ (ઉંમર ૫૫ વર્ષ) પોતાના ટ્રેક્ટર માટે કપડું લેવા માટે ગયા હતા ત્યારે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં ધડાકો થયો હતો.જેથી આજુબાજુના લોકો એકઠાં થયા હતા. અને તાત્કાલિક તેમને સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.
મૃતક કાન્તિભાઈ વિસાભાઈ સુથારને માથાના ભાગે તેમજ ખભા સહિત અન્ય જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી તેમનું મોત થયું હતું. તેમના અકાળે મોતથી પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.મૃતકની લાશને પીએમ માટે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં એમના પરિવાર સહિત સગા સબંધીઓ શિહોરી પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદી સુથાર ભરતભાઈ ચેહરાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ હર્ષદ ઠાકર ચલાવી રહ્યા છે. અને પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.





