જેતલપુરા નજીક બનાસ નદીમાંથી રેતભરી આવતા ડમ્પરોમાં ‘તોડપાણી’ થતું હોવાના આક્ષેપથી ખળભળાટ
રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ નજીક બનાસ નદીમાંથી રેતી ભરીને આવતા ડમ્પરોને લઈને ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રેતભરીને પસાર થતા કેટલાક ડમ્પરોને રોકી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કથિત રીતે ‘તોડપાણી’ કરવામાં આવે છે. આ આક્ષેપો સાચા છે કે માત્ર ચર્ચા પૂરતા છે, તે અંગે નિષ્પક્ષ તપાસ થાય તો જ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. બનાસ નદીમાંથી રેતીના ખનન અને પરિવહન અંગે નિયમો હોવા છતાં જો અધિકારીઓની હાજરીમાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને છૂટ મળતી હોય અથવા કથિત હપ્તા વસૂલાત થતી હોય તો તે ગંભીર બાબત ગણાય શું રેતીના ડમ્પરો સામે ખરેખર નિયમ મુજબ કાર્યવાહી થાય છે કે પછી ‘તોડપાણી’ બાદ મામલો થાળે પાડવામાં આવે છે ? આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જેતલપુરા નજીકના રેતી પરિવહનની હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.





