શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નો અંગે એકસૂર સાથે માંગણીઓ રજૂ કરી
પાટણ જિલ્લા મુખ્ય મથક ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના નેજા હેઠળ શિક્ષકો દ્વારા ગુરૂવારે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં TET પરીક્ષા અને શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીની બાજુમાં આવેલા સિંધવાઈ માતાજી મંદિર પરિસરમાં આ ધરણાનું આયોજન થયું હતું. લાંબા સમયથી પ્રવર્તતા આ પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે શિક્ષકોએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી 700 થી વધુ શિક્ષક ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નો અંગે એકસૂર થઈ માંગણીઓ રજૂ કરી હતી.ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા કલેક્ટરને રૂબરૂ મળીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતં. આ પ્રસંગે મહાસંઘના અધ્યક્ષ મહાદેવભાઈ એન. દેસાઈ અને મહામંત્રી મહેશભાઈ કે. પટેલ સહિતના શિક્ષકો હાજર રહ્યા હતા.





