પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 1.18 લાખની રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ખેડૂત પરિવાર સવારે પોતાના કામ અર્થે ખેતરે ગયો હતો. સરસ્વતી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વામૈયા ગામના મઘાણી પાર્ટી મહાદેવીયા વિસ્તારમાં રહેતા ખેડૂત દલપતજી શંકાજી ઠાકોર ગત 13 જૂન, 2026ના રોજ સવારે 7 વાગ્યે પોતાના ટ્રેક્ટર સાથે કુન્તવાડા ગામની સીમમાં ખેડ કરવા ગયા હતા. તેમનો દીકરો દીપકજી પાટણ ગંજ બજારમાં નોકરી પર હતો, જ્યારે પત્ની વસંતબેન ભેંસો માટે ચારો લેવા ખેતરે ગયા હતા.આથી, સવારે 9:30 વાગ્યાના અરસામાં
ઘર બંધ અને ખાલી હતું, જેનો લાભ લઈ ચોરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. આશરે 10 વાગ્યે દલપતજી ઠાકોર ખેતરેથી પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોયો. અંદર તપાસ કરતા રૂમના દરવાજાનું તાળું તૂટેલું પડ્યું હતું. ચોરોએ રૂમમાં રાખેલી ત્રણ લોખંડની પેટીઓ પૈકી એકનું તાળું તોડી કપડાં વેરવિખેર કરી નાખ્યા હતા. તપાસ કરતાં પેટીમાંથી રૂ. 45,000ની રોકડ રકમ ગાયબ હતી.આ ઉપરાંત, 250 ગ્રામ વજનની ચાંદીની બે ઝાંઝરી અને 250 ગ્રામ વજનની બે ચાંદીની કોબીઓ પણ ચોરાઈ ગઈ હતી, જેની અંદાજિત કિંમત રૂ. 73,000 થાય છે. આમ, ચોરો કુલ રૂ. 1,18,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.ચોરીની જાણ થતાં દલપતજી ઠાકોરે આસપાસ અને ગામના આગેવાનો સાથે તપાસ કરી, પરંતુ કોઈ ભાળ ન મળતાં આખરે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું





