મહેસાણા જિલ્લા જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલા એક હવાલદાર પર કેટલાક ઉશ્કેરાયેલા કેદીઓએ હુમલો કરી દીધો હતો. ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ભોગ બનનાર પોલીસ કર્મચારીએ મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ કેદીઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી નાથાભાઇ ગણેશભાઇ ચૌધરી મહેસાણા જિલ્લા જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓ છેલ્લા એક વર્ષથી જેલના ટેલિફોન બૂથ પર પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. ગત ૧૫ જૂન, ૨૦૨૬ ના રોજ સવારના સમયે તેઓ જ્યારે ફરજ પર હતા, ત્યારે ઝાલા મહિપતસિંહ ચંપુભા નામનો કેદી ત્યાં આવ્યો હતો અને ફોન કરવા માટે જીદ કરવા લાગ્યો હતો. જેલના નિયમો અનુસાર હવાલદાર નાથાભાઈએ ફોન કરવા માટે તેની પાસે ઓળખપત્ર (આઈડી કાર્ડ) માંગતા, કેદી મહિપતસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે હવાલદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બોલાચાલીના થોડા સમય બાદ, સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં અન્ય બે કેદીઓ - ઠાકોર સંજયજી શંકરજી અને ઠાકોર જીગરજી કાળાજી ત્યાં ધસી આવ્યા હતા. આ બંને આરોપીઓએ અચાનક જ પાછળથી હવાલદારને પકડી લીધા હતા. શર્ટનો કોલર પકડીને તેઓએ નાથાભાઈને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ નખ વડે છાતી તેમજ કાનના ભાગે ઉઝરડા પાડી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને હવાલદારની વર્દી પર લાગેલી નેમ પ્લેટ તથા સીટી પણ તોડી નાખી હતી.
ઘટનાસ્થળે બૂમાબૂમ થતાં હાજર અન્ય જેલ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને વચ્ચે પડીને હવાલદારને આ ઉશ્કેરાયેલા કેદીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. ઈજાગ્રસ્ત હવાલદારને પ્રાથમિક સારવાર મહેસાણા જિલ્લા જેલ ખાતે જ આપવામાં આવી હતી. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે પીડિતની લેખિત અરજીના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





