મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના એક શખ્સે ૧૦ ટકા કમિશનની લાલચમાં મોટું સાયબર કૌભાંડ આચરવામાં સાથ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. સૂર્યકાંત પરમાર નામના આ વ્યક્તિએ પોતે જેનો પ્રોપરાઇટર છે તેવા 'આદર્શ ગ્રામ વિકાસ ટ્રસ્ટ ડાલિસણા' નું બેન્ક ઓફ બરોડાનું ખાતું હિંમતનગરના વિજય જાદવ અને રાજસ્થાનના ચિત્તોડગઢના સંદીપ સેવકને ભાડે આપ્યું હતું. આ ભાડે અપાયેલા એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગઠિયાઓએ દેશભરના લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરવા માટે કર્યો હતો, જેના પરિણામે આ ખાતા વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં ૨૯ જેટલી ફરિયાદો નોંધાઈ છે. માત્ર ૭ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચે જ આ ખાતામાં ૮૭ લાખથી વધુ રૂપિયા જમા થયા હતા અને ૮૩ લાખથી વધુની રકમ ઉપાડી પણ લેવામાં આવી હતી.
સાયબર પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્યું હતું કે સૂર્યકાંત વર્ષ ૨૦૧૯માં આ ટ્રસ્ટનો સભ્ય અને બાદમાં પ્રમુખ બન્યો હતો. અગાઉ બેન્ક ખાતામાં ટ્રસ્ટના મંત્રીનો નંબર હતો, પરંતુ જૂન ૨૦૨૫માં સૂર્યકાંતે પોતાનો નંબર ઉમેરાવી દીધો હતો. ત્યારબાદ તે બેન્ક ખાતું ભાડે લેનારની શોધમાં હતો, ત્યારે ગાંધીનગરના સેક્ટર ૨૮ ખાતે તેની મુલાકાત વિજય જાદવ અને સંદીપ સેવક સાથે થઈ હતી. અહીં ૧૦ ટકા કમિશનની ડીલ નક્કી થતાં સૂર્યકાંતે બેન્ક ખાતાનું તમામ એક્સેસ આ બંને આરોપીઓને સોંપી દીધું હતું. ૬ ઓક્ટોબરે આ ત્રણેય ગોવા ગયા હતા અને ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત કર્યા બાદ તરત જ આ મ્યુલ એકાઉન્ટમાં લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો શરૂ થઈ ગયા હતા.
ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ, જ્યારે સૂર્યકાંતે નક્કી થયા મુજબ પોતાનું ૧૦ ટકા કમિશન માંગવા માટે વિજય અને સંદીપનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંનેના ફોન સ્વીચઓફ આવવા લાગ્યા હતા. લાલચમાં આવીને સાયબર ગુનેગારોને મદદ કરનાર સૂર્યકાંતને કમિશન તો ન મળ્યું, પરંતુ તે કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયો છે. આ સમગ્ર કૌભાંડ બહાર આવતાં ખેરાલુ પોલીસે સૂર્યકાંત પરમાર, વિજય જાદવ અને સંદીપ સેવક એમ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.





