આગામી ચોમાસાની સિઝનમાં શહેરીજનોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વરસાદી જળભરાવની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સમગ્ર શહેરમાં આવેલી વરસાદી ગટરો અને પાણીના નિકાલ માટેની કેનાલોની સફાઈનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
પાલિકાના સફાઈ કર્મીઓની ટુકડીઓ દ્વારા નહેરોમાં લાંબા સમયથી જમા થયેલો કચરો, કાદવ-કીચડ અને ઝાડી-ઝાંખરાં સઘન રીતે દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી થવાથી વરસાદી પાણીના વહેણમાં કોઈ અવરોધ નહીં આવે અને પાણીનો નિકાલ અત્યંત ઝડપથી થઈ શકશે. ખાસ કરીને શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાવવાની શક્યતા વધુ હોવાથી તંત્ર દ્વારા ત્યાં વિશેષ તકેદારી રાખીને ડ્રેનેજ લાઈન અને નિકાલ વ્યવસ્થાનું ઝીણવટભર્યું ચેકિંગ તેમજ સફાઈ કરવામાં આવી રહી છે.આ સફાઈ ઝુંબેશ અંગે માહિતી આપતા નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, ચોમાસામાં જનજીવન પ્રભાવિત ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે કે, તેઓ જાહેર સ્થળો કે કેનાલોમાં કચરો ફેંકવાનું ટાળે અને શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે. આ કામગીરી પૂર્ણ થવાથી શહેરમાં વરસાદી પાણીના નિકાલની માળખાકીય સુવિધા વધુ મજબૂત બનશે અને જળભરાવની સમસ્યાઓથી છુટકારો મળશે.





