7 દિવસના રિમાન્ડ દરમ્યાન કનુ ચૌધરીએ મગનું નામ મરી ન બોલતાં પોલીસને કોઈ કડી ન મળી
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનામાર્કશીટ સુધારણા કૌભાંડના સૂત્રધાર કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને સબજેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડી દરમિયાન તપાસકર્તાઓને કોઈ નક્કર કડી કે મહત્વપૂર્ણ માહિતી મળી નથી.આ કૌભાંડ વર્ષ 2018માં લેવાયેલી MBBSની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરાવવા સંબંધિત છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈએ વર્ષ 2025માં પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, ત્રણ નાપાસ વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થી કનુ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. ચૌધરીએ તેમને પરીક્ષાવિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા દિવ્ય પટેલ અને ઉદય ઓઝા સાથે મુલાકાત કરાવી હતી. પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ. 50,000 માં સોદો નક્કી થયો હતો, જેમાં રિએસેસમેન્ટના બહાને નવી પુરવણીઓમાં સાચા જવાબો લખાવી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા.
આ કૌભાંડમાં કનુ ચૌધરી સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોંધાયા બાદ આરોપીઓએ ધરપકડથી બચવા કાયદાકીય લડત ચલાવી હતી. મુખ્ય આરોપી કનુ ચૌધરીએ નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દઈને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશ બાદ કનુ ચૌધરી ગત મહિનાના અંતમાં બી ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો. પોલીસે તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં ગુરુવારે તેને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી તેને સબજેલ મોકલવાનો આદેશ થયો છે. આ કેસમાં અન્ય સંડોવાયેલા શખ્સો અને યુનિવર્સિટીના અન્ય કોઈ કર્મચારીઓની ભૂમિકા અંગેની તપાસ હજુ ચાલુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.





