રોગચાળાની દહેશતથી ગામલોકોમાં આક્રોશ છવાયો
કાંકરેજ તાલુકાના ઉંચરપી ગામે પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. ગામની પીવાના પાણીની ટાંકીમાં મરેલું કબૂતર મળી આવતાં ગ્રામજનોમાં ચોમાસામાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. ટાંકીની આસપાસ પણ ગંદકી અને દૂષિત પાણી જોવા મળતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જ પાણીનો ઉપયોગ ગ્રામજનો પીવા માટે કરી રહ્યા છે. પીવાના પાણીની ટાંકીમાં મરેલું પક્ષી મળી આવ્યાની ઘટનાથી પાણીની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
ગ્રામજનોએ તાત્કાલિક પાણીની ટાંકીની સફાઈ કરાવવા તેમજ પાણીના નમૂના લઈ તેની ગુણવત્તાની લેબોરેટરી તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પાણીની ટાંકીની નિયમિત સફાઈ અને જાળવણી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.બીજી તરફ, ગોદરાથી હનુમાન મંદિર તરફ જતા માર્ગની હાલત પણ ખરાબ હોવાની ફરિયાદો સામે આવી છે. માર્ગ પર મોટા ખાડા પડ્યા છે તેમજ કેટલીક જગ્યાએ પાણીની પાઇપ ખુલ્લી જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકો ઉપરાંત હનુમાન મંદિર જતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોની માંગ છે કે,સંબંધિત તંત્ર દ્વારા ઉંચરપી ગામની પાણીની ટાંકીની તાત્કાલિક સફાઈ કરી પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે અને ગોદરા થી હનુમાન મંદિર તરફના માર્ગનું પણ સત્વરે સમારકામ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની ફરિયાદ બાદ સંબંધિત તંત્ર દ્વારા આ બંને મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે ?





