બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સહિત મહેસૂલી વિભાગના કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાન હેઠળ કર્મચારીઓએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી 18 જેટલી વિવિધ માંગણીઓનો તાકીદે નિકાલ કરવાની માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ, કાંકરેજ તાલુકાના નાયબ મામલતદાર સહિત રેવન્યુ વિભાગના આશરે 22 જેટલા કર્મચારીઓએ પડતર સેવા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં મહેસૂલી તલાટીના જોબ ચાર્ટમાં સુધારો કરવો, અન્ય વિભાગની કામગીરી દૂર કરવી, બઢતી સમયે બિનજરૂરી જિલ્લા ફેર અટકાવવો, મૂળ જિલ્લામાં નિમણૂક આપવી અને જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા પારદર્શક બનાવવાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત મહેસૂલી તલાટીઓનું મહેકમ વધારવું, આઈ.એલ.આર. કચેરીની હંગામી નિમણૂક રદ કરવી, ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી કચેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા ક્લાર્ક સંવર્ગની અછત દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી.દરેક સેજા માટે મલ્ટી-ટાસ્કિંગ હેલ્પર ફાળવવા, તલાટી-કમ-મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામ સેવકની કામગીરી સ્પષ્ટ કરવા તેમજ ઈ-ધરા, ડિજિટલ ગુજરાત અને જનસેવા કેન્દ્રના વધારાના કાર્યભારમાં ઘટાડો કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
કર્મચારીઓએ ઓટીપી અને બાયોમેટ્રિક પ્રક્રિયાથી ઊભા થતા વધારાના કાર્યભારને ઘટાડવા, નિર્ધારિત કચેરી સમય બાદ કામગીરી ન કરાવવા તથા જાહેર રજાના દિવસે ઓનલાઈન, ઓટીપી અને બાયોમેટ્રિક કામગીરી ન કરાવવાની રજૂઆત કરી હતી. સાથે જ ‘વર્ક ટુ રૂલ’ મુજબ કામગીરી કરવા અને પડતર પ્રશ્નોનો સમયબદ્ધ નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી.કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો તેમની પડતર માંગણીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અને જરૂર પડ્યે સંપૂર્ણ હડતાળ પાડી કામગીરીથી અળગા રહેવામાં આવશે.આ સમગ્ર મામલે નાયબ મામલતદાર વિજય ચૌધરી સહિત મહેસૂલી વિભાગના કર્મચારીઓએ રજૂઆત કરી હતી.





