સ્વાઇન ફ્લૂના લક્ષણો વાળા દર્દીઓનું દૈનિક સર્વેલન્સ: રોજના 300 થી 400 કેસો
શરદી ખાંસીના કેસોમાં ઉછાળો:સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે
બનાસકાંઠા જિલ્લામાં એક તરફ શંકાસ્પદ કોંગો ફિવરના કારણે એક વ્યક્તિનું મોત થતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસોની શક્યતાને શક્યતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. જિલ્લામાં હાલ સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ શરદી- ખાંસી અને વાયરલ ફીવર જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ ની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે.
જિલ્લાના સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, તાવ સહિતની ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગ ના સૂત્રોના જણાવ્યા મુજબ, આવા લક્ષણો ધરાવતા અંદાજે 300થી 400 દર્દીઓનું રોજ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય સ્તરે પણ આવા દર્દીઓનો દૈનિક સર્વે, તપાસ અને જરૂરી સારવાર હાથ ધરવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લૂને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા મુજબ દર્દીઓનું વર્ગીકરણ કરી સારવાર કરવાની તાકીદ કરવામાં આવી છે. સરકારી દવાખાનાઓમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લક્ષણો ધરાવતા દર્દીઓને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ જરૂર જણાય ત્યારે આઇસોલેશનમાં રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
ચોમાસા દરમિયાન રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પાણીનો ભરાવો દૂર કરવો, મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ અને જંતુનાશક દવાના છંટકાવ જેવી કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.





