પાટણ કોર્ટે રૂ.૩૯૮ કરોડના ગેરકાયદે વ્યવહારોની ગંભીરતા જોઈ નિર્ણય લીધો
હારીજ નાગરીક સહકારી બેંકમાં બોગસ પેઢીઓના નામે કરંટ ખાતા ખોલાવી રૂ.૩૯૮ કરોડથી વધુના સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો આચરવામાં આવ્યા હતા. આ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એક ભેમાભાઈ રબારી (રહે. રાધનપુર,મૂળ બંધવડ) દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ પછીની જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
પાટણના ત્રીજા એડિશનલ સેશન્સ જજ ધીરેન ચૌહાણે ગુનાની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો હતો.કેસની વિગતો અનુસાર, પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો હતો.આરોપીઓએ સાથે મળીને કમિશનની લાલચ આપીને હારીજ નાગરીક સહકારી બેંકમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા. આ બેંક ખાતાઓ, બેંકિંગ કિટ્સ અને સહી કરેલા કોરા ચેકો સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, ઓનલાઇન સટ્ટા અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકોને પૂરા પાડવામાં આવ્યા હતા.
સમગ્ર દેશમાંથી NCCRP પોર્ટલ પર ૨૨૮ જેટલી ફરિયાદો નોંધાઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અરજદાર ભેમાભાઈ રબારીના નામે ખોલાવાયેલા કરંટ ખાતામાં પણ રૂ. ૨૫ કરોડથી વધુની રકમ જમા થઈ હતી.અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે ચાર્જશીટ રજૂ થઈ ગયું છે અને તપાસ પૂર્ણ થઈ હોવાથી જામીન મળવા જોઈએ. જોકે, સરકારી વકીલ જે.જે. બારોટની દલીલો અને પોલીસ તપાસના સોગંદનામાને સ્વીકારીને અદાલતે નોંધ્યું હતું કે માત્ર ચાર્જશીટ રજૂ થવું કે તપાસ પૂર્ણ થવી એ જામીન માટેની બદલાયેલી પરિસ્થિતિ ગણી શકાય નહીં. ગુનાની ગંભીરતા અને આર્થિક છેતરપિંડીના મોટા પાયાને જોતાં અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.





