રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય17 ઑગસ્ટ, 2025| Super Admin

ભવ્ય સ્વાગત : અવકાશમાં ભારતનો ધ્વજ ફરકાવનાર કેપ્ટન શુભાંશુ શુક્લા સ્વદેશ પરત ફર્યા

ભવ્ય સ્વાગત : અવકાશમાં ભારતનો ધ્વજ ફરકાવનાર કેપ્ટન શુભાંશુ શુક્લા સ્વદેશ પરત ફર્યા
હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને તાળીઓ પાડી: લોકોએ હાથમાં ત્રિરંગો લઈને શુભાંશુનું ભવ્ય સ્વાગત કર્યું અવકાશમાં ભારતનો ધ્વજ ફરકાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાના દેશ પરત ફર્યા છે. તેમનું વિમાન રવિવારે મોડી રાત્રે દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ, ISROના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓના જૂથ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુના પત્ની કામના શુક્લા અને પુત્ર પણ તેમની સાથે હાજર હતા. શુભાંશુ પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી રેખા અને મંત્રી જીતેન્દ્રએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપીને ભારતમાં તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને તાળીઓ પાડી. એરપોર્ટની બહારનું વાતાવરણ પણ ખૂબ જ ઉત્સાહી હતું. લોકોએ હાથમાં ત્રિરંગો લઈને શુભાંશુનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે અને તેમના વતન લખનૌ જશે. તેઓ 22-23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લખ્યું, 'ગગનયાન મિશનના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે સવારે દિલ્હી પહોંચ્યા ત્યારે તે ભારતના અવકાશ કાર્યક્રમ માટે ગર્વની ક્ષણ હતી. દિલ્હી એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન અને વિદ્યાર્થીઓના જૂથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અવકાશ ગૌરવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ આગમન ભારતીય અવકાશ કાર્યક્રમમાં સિદ્ધિઓ અને દેશની અવકાશ યાત્રામાં એક નવો સીમાચિહ્નરૂપ સિદ્ધિ દર્શાવે છે.'    

સંબંધિત સમાચાર