ઐતિહાસિક શહેર વડનગરમાં સ્થિત એક પૌરાણિક મંદિરની મિલકત અને તેના સંચાલનને લગતા લાંબા સમયના વિવાદને ઉકેલવા વહીવટીતંત્રએ મહત્વનું પગલું ભર્યું છે. મંદિરમાં કોઈ માન્ય કે કાયદેસરના ટ્રસ્ટી મંડળની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને, મિલકતની જાળવણી અને કાયદો-વ્યવસ્થા જાળવવા નાયબ ચેરિટી કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત, મંદિરના કામચલાઉ સંચાલન માટે નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકને સરકારી વહીવટકર્તા તરીકે નીમવામાં આવ્યા છે.
અગાઉના ટ્રસ્ટીઓએ સત્તાવાર રીતે ચાર્જ સોંપ્યા વગર જ સ્થળ છોડી દીધું હોવાથી, વહીવટીતંત્રે તમામ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને તાબડતોબ મંદિરે ઉપસ્થિત રહેવા આદેશ આપ્યો હતો. આમ છતાં, સવારથી સાંજ સુધી એક પણ ટ્રસ્ટી ન દેખાતા માહોલમાં ભારે તંગદિલી જોવા મળી હતી. કોઈ અઘટિત ઘટના ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી વહેલી સવારથી જ મંદિર કેમ્પસમાં વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
દિવસભરની ભારે ઉત્તેજના અને ખેંચતાણ પછી, આખરે મોડી રાત્રે બે પૂર્વ ટ્રસ્ટીઓ-હરેશ મોદી અને હરેશ દાળિયા-મંદિરે પહોંચ્યા હતા. પોલીસ અને સરકારી અધિકારીઓની હાજરીમાં કાનૂની દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂરી થતાં જ મધરાતે બરાબર 12 કલાકે મંદિરના રેકોર્ડ, ચાવીઓ અને સંપૂર્ણ વહીવટ સત્તાવાર રીતે સરકારી પ્રશાસકને સોંપી દેવામાં આવ્યો. આ સત્તા-હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ વડનગરના આ પ્રખ્યાત મંદિરના સંચાલન મુદ્દે ચાલી રહેલા લાંબા વિવાદ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.





